Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસનો આરોપ: પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફાલેલી ભાજપાની ગુંડા ગેંગ

કોંગ્રેસનો આરોપ: પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફાલેલી ભાજપાની ગુંડા ગેંગ

0
51
  • હત્યારાઓને કાનૂનને હવાલે કરીને પોરબંદર શહેર અને જિલ્લાને બાનમાં લેનાર તત્વોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરીને વિસ્તારને નિર્ભય બનાવવા માંગ
  • પોરબંદરમાં હત્યા, ખનીજચોરી, જમીન હડપ કરનારા તત્વોને ભાજપ દ્વારા ટિકિટો અને પક્ષના પદોની લ્હાણી કરવામાં આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગર: પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફાલેલી ભારતીય જનતા પાર્ટીની ગુંડા ગેંગે રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરીને પોરબંદર શહેર વોર્ડ પ્રમુખ રાજ કેશવાલા અને યુવા કાર્યકર કલ્પેશ ભૂતિયા સહિત બેની હત્યા તથા સિનિયર આગેવાનો વનરાજ કેશવાલા અને પ્રકાશ જુંગીને ગંભીર ઈજા પહોંચાડવાની ઘટનાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે વખોડી કાઢી છે. તેમણે હત્યારાઓને કાનૂનને હવાલે કરીને પોરબંદર શહેર અને જિલ્લાને બાનમાં લેનાર તત્વોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરીને વિસ્તારને નિર્ભય બનાવવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.

જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પોરબંદરમાં ડબલ મર્ડરની ઘટનામાં પોરબંદર વોર્ડ નંબર 11 માં કોંગ્રેસ પ્રમુખ રાજ કેશવાલા તથા સાથી યુવા કાર્યકર કલ્પેશ ભૂતિયા હત્યા તથા કોંગ્રેસના સિનિયર આગેવાન વનરાજ કેશવાલા તથા કાર્યકર પ્રકાશ જુંગીની હત્યાની કોશિશમાં બંનેની ગંભીરપણે ઘાયલ થયાની નીદંનીય છે. આ ઘટના માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો સહિતના 11 આગેવાનો સંડોવાયેલા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોરબંદરમાં શેરી અને ગલીઓમાં ભાજપ સમર્થિત ગેંગોએ આજકાલ આતંક ફેલાવ્યો છે. ડર અને ભયનો માહોલ ઉભો કરવાનો વધુ એક પ્રયત્ન છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોરબંદરમાં હત્યાઓ કરનારા, ખનીજચોરી, જમીન હડપ કરનારા તત્વોને ભાજપ દ્વારા ટિકિટો અને પક્ષના પદોની લ્હાણી કરવામાં આવી છે. આવા તત્વોને રાજ્યાશ્રય મળતાં બેફામ બન્યા છે. ગેરકાયદેસર ખનન ચોરી, દારૂની હેરાફેરી સહિતના ગેરકાનૂની વ્યવસાયોનો કબજો કર્યો છે. પ્રતિષ્ઠિત લોકો અને વેપારીઓ ઉપર ધાક જમાવી છે.

સામાન્ય નાગરિકોને તો તે ઠીક પરંતુ ભારતીય જનતા પક્ષના સીનીયર આગેવાનોને આવા તત્વોનો જાત અનુભવ થયો છે અને આગેવાનોને આવા તત્વોના હાથે બેફામ માર ખાવો પડ્યો છે પરંતુ હિંમત ના અભાવે સીનીયર આગેવાનોએ પણ આવા રાજ્યાશ્રયવાળા અસામાજિક તત્વોને શરણે જવું પડ્યું છે. ભાજપના પ્રદેશના આગેવાનોને આવી ઘટનાઓની માહિતી પણ છે આવા અસામાજીક તત્વોની સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં તેઓને રાજ્ય સરકારે હથિયાર લાયસન્સ પણ આપ્યા છે અને તેઓ બીજા ગેરકાનૂની હથિયારો પણ ધરાવે છે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ રાજ્ય સરકાર પાસે પોરબંદરની આ ડબલ મર્ડર કેસની ઉંડાણથી તપાસ કરવા અને ભાજપમાં પ્રવેશેલા ભાજપ તત્વો સામે લાલ આંખ કરીને નેસ્તનાબૂદ કરવા માંગણી કરી હતી. જો રાજ્ય સરકાર તાકીદે પગલાં નહીં લે તો ગુજરાતની સમગ્ર કોંગ્રેસ પોરબંદરની પ્રજાની પીડાને વાચા આપવામાં જનઆંદોલનની આગેવાની લેશે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભોગ બનનાર કોંગ્રેસ કાર્યકરોના પરિવારજનો માટે સંવેદના પ્રગટ કરી છે અને તેમને ન્યાય મળી રહે તે માટે તમામ પ્રયાસો કરવાની ખાતરી ઉચ્ચારી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat