Gujarat Exclusive > ગુજરાત > જૈન ધર્મના તહેવાર પર્યુષણમાં કતલખાના બંધ કરવા વિરૂદ્ધ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

જૈન ધર્મના તહેવાર પર્યુષણમાં કતલખાના બંધ કરવા વિરૂદ્ધ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

0
143

અમદાવાદ: અમદાવાદ શહેરમાં એકમાત્ર સ્લોટર હાઉસ બંધ રાખવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને પડકારતી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જૈન ધર્મના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાનાને બંધ રાખવા જણાવ્યું હતું.

આ અરજી કુલ હિંદ જમિયત-અલ કુરૈશ એક્શન કમિટી, ગુજરાતના ડેનિશ કુરેશી રઝાઈવાલા અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. રઝાઈવાલાએ કોર્ટમાં દલીલ કરતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગયા ઓગસ્ટમાં એક આદેશમાં કોર્ટે ‘પર્યુષણ’ને કારણે અંબાલામાં કતલખાના બંધ કરવાના અધિકારીઓના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે અરજદાર પર દંડ પણ લગાવવો જોઈએ. પરંતુ જસ્ટિસ સંદીપ ભટ્ટની કોર્ટે રાજ્યની વિનંતી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ 18 ઓગસ્ટે પસાર કરેલા ઠરાવમાં જણાવ્યું હતું કે વિભાગે પર્યુષણ પર્વ નિમિત્તે 24 અને 31 ઓગસ્ટ અને સબંધિત તહેવારોને કારણે 5 અને 9 સપ્ટેમ્બરના રોજ કતલખાના બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે, જેના વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

અરજદારે શું કહ્યું?

રિપોર્ટ અનુસાર, અરજદારે એવી દલીલ પણ કરી હતી કે જો કતલખાના ચાલુ રાખવામાં આવશે તો તેનાથી કોઈ વ્યક્તિ પર અસર નહીં થાય. તેમણે કહ્યું કે તેના બદલે તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનના માર્ગદર્શિકાને અનુરૂપ છે, જે જણાવે છે કે લોકોએ પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવી જ જોઈએ.

અરજદારે એમ પણ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટે પોતે ડિસેમ્બર 2021માં કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોની ખાવાની આદતોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. અગાઉ 30 ઓગસ્ટના રોજ આયોજિત આ કેસની છેલ્લી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે તમે તમારી જાતને એક-બે દિવસ (માંસ) ખાવાથી રોકી શકો છો. તેના પર અરજદારે કહ્યું હતું કે આ મામલો પોતાની જાત પર રોક લગાવવાનો નથી, પરંતુ મૂળભૂત અધિકારનો મામલો છે.

જો કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટે ડિસેમ્બર 2021ના તેના આદેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સખત ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે શું સરકારને લોકોના ખાવા-પીવામાં કોઈ સમસ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તા પર નોન-વેજ ખાદ્યપદાર્થો વેચતા સ્ટ્રીટ વેન્ડર્સને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat