પ્રયાગરાજ : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં આંદોલન કરનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. જોકે તેઓ ક્યા પક્ષના સમર્થક છે તે અંગે કોઇ વાત કરી નથી પરંતુ આડકતરી રીતે તેમણે સપા અને આરએલડીના ગઠબંધનને સમર્થન આપ્યું હતું.
રાકેશ ટિકૈતે સિસૌલીમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે મને આશા છે કે સપા અને આરએલડીના ગઠબંધનના ઉમેદવારોને લોકો સમર્થન આપશે. જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે રાકેશ ટિકૈતે ક્યા પક્ષને સમર્થન આપશે તે અંગે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.
જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતો ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવશે. ટિકૈતે કહ્યું હતું કે 13 મહિના સુધી આ આંદોલન ચાલ્યું છે. તેથી ખેડૂતો પણ હવે સમજદાર બની ગયા છે અને તેઓને ખ્યાલ છે કે કોને હરાવવાના છે. ટિકૈતે કહ્યું હતું કે હું ખુદ ચૂંટણી નહીં લડું ના કોઇ રાજકીય પક્ષના મંચ પર જઇશ.
તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે લોકોએ સીએમ યોગી આદિત્યનાથને હરાવવા જોઇએ કેમ કે ઉત્તર પ્રદેશમાં મજબૂત વિપક્ષ હોવો પણ જરૂરી છે. ખેડૂતો પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેવા સક્ષમ છે. ખેડૂતોને હવે જાતિ અને ધર્મના નામે ગેરમાર્ગે નહીં દોરી શકાય. ખેડૂતો ટેકાના ભાવ સહિતની માગો પુરી કરાવીને જ રહેશે.