પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અપહરણના એક કેસમાં આરોપી મંત્રી કાર્તિક કુમારનો વિભાગ બદલી નાખ્યો છે. બિહારના મુખ્યમંત્રીએ કાર્તિક કુમારના વિભાગની અદલા બદલી કરીને શેરડી વિભાગની જવાબદારી સોપી છે. જ્યારે તેમની જગ્યાએ શેરડી મંત્રી શમીમ અહમદ નવા કાયદા મંત્રી હશે. વિભાગ બદલ્યા પહેલા મંત્રી કાર્તિક કુમાર કાયદા મંત્રીનો કાર્યભાર સંભાળી રહ્યા હતા.
બિહારમાં નવી સરકારની રચના બાદ તમામ મંત્રીઓએ શપથ લઇને પોતાના વિભાગનું કામકાજ સંભાળી લીધુ છે પરંતુ શપથ લીધા બાદથી જ નીતિશ સરકારના મંત્રી વિવાદમાં આવી ગયા છે. આ કારણ છે કે ભાજપ નીતિશ મંત્રી મંડળમાં સામેલ કાયદા મંત્રી કાર્તિક સિંહ પર પ્રહાર કરી રહ્યુ છે. કાર્તિક સિંહ કિડનેપિંગ મામલે આરોપી છે અને તેમની સામે વોરંટ પણ નીકળ્યુ છે.
બિહારના કાયદા મંત્રી કાર્તિક સિંહ વિરૂદ્ધ અપહરણના એક કેસમાં રાજદ એમએલસી સિંહ વિરૂદ્ધ વોરંટ જાહેર થયુ હતુ, તેમણે 16 ઓગસ્ટે કોર્ટમાં સરેન્ડર કરવાનું હતુ પરંતુ તે કોર્ટ પહોચ્યા નહતા. જોકે, તે દિવસે કાયદા મંત્રીના શપથ લીધા હતા. જોકે, કાર્તિક અને તેમના વકીલનો દાવો છે કે આ મામલે તેમણે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.